જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને બેંકર્સ કમિટીની બેઠક મળી
આવતા નાણાકીય વર્ષમાં બેંકો દ્વારા જામનગર જિલ્લામાં રૂ.૫૭૫૨.૨૬ કરોડનું ધિરાણ કરાશે
બેંકો દ્વારા કૃષિ ક્ષેત્રમાં રૂ.૩૪૫૫.૯૭ કરોડ, મધ્યમ અને નાના ઉદ્યોગ ક્ષેત્રમાં રૂ.૧૮૪૭.૧૭ કરોડ, શિક્ષણ ક્ષેત્રમાં રૂ.૧૦.૧૩ કરોડ, આવાસ ક્ષેત્રમાં રૂ.૩૦૦.૨૬ કરોડ તથા અન્ય અગ્રીમ ક્ષેત્રમાં રૂ.૧૨૩.૭૨ કરોડનું ધિરાણ કરાશે
જામનગર તા.૩૧ માર્ચ, જામનગર જિલ્લામાં લીડ બેંક તરીકે ફરજ બજાવતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં એકમે સમગ્ર જિલ્લાનો વર્ષ-૨૦૨૨-૨૩ નો રૂ.૫૭૫૨.૨૬ કરોડનો અગ્રીમ ક્ષેત્રનાં ધિરાણનો પ્લાન બનાવી જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી સમક્ષ અમલીકરણ માટે રજૂ કરેલ છે. ક્રેડીટ પ્લાનનાં અમલીકરણ અર્થે વિમોચન કરવા માટેની લીડ બેંક દ્વારા યોજવામાં આવેલ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘીએ લીડ બેંક જામનગરના સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે તમામ બેંકો દ્વારા અગ્રીમતા પ્રાપ્ત ક્ષેત્રોને ૧૦૦% ધિરાણ કરી લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં આવશે તેમાં બેમત નથી.વર્ષ ૨૦૨૧-૨૨ માં રૂ. ૪૫૯૨.૭૨ કરોડના ધિરાણ સામે તા.૩૧/૧૨/૨૦૨૧ સુધીમાં રૂ. ૫૦૪૧.૧૫ કરોડનું ધિરાણ કરીને સમગ્ર વર્ષનો લક્ષ્યાંક ડીસેમ્બર-૨૦૨૧ માં જ પૂર્ણ કરેલ છે અને ૧૦૯% સિધ્ધી હાંસલ કરેલ છે તે બાબત પણ સરાહનીય છે.
બેઠકનાં પ્રારંભે સ્વાગત પ્રવચન કરતાં લીડ બેંક ઓફિસ જામનગરના ચીફ મેનેજર શ્રી દીક્ષીત ભટ્ટે જણાવેલ કે જામનગર જિલ્લામાં ભારતીય સ્ટેટ બેંક લીડ બેંક તરીકે પોતાની ફરજો સુચારૂ રીતે બજાવી રહી છે.વર્ષ-૨૦૨૨-૨૩ માટેનાં ક્રેડિટ પ્લાનની વિગતો આપતા તેઓએ જણાવેલ કે આવતા વર્ષમાં અગ્રીમતા પ્રાપ્ત ક્ષેત્રોને રૂ.૫૭૫૨.૨૬ કરોડનું ધિરાણ બેંકો દ્વારા કરવામાં આવશે. ગત સાલના મૂળ પ્લાન કરતાં ચાલુ સાલનાં લક્ષ્યાંકો રૂ.૧૧૬૧.૫૦ કરોડ વધું રાખવામાં આવેલ છે. કૃષી ક્ષેત્રમાં રૂ. ૩૪૫૫.૯૭ કરોડ(૬૦%) મધ્યમ અને નાના ઉદ્યોગ ક્ષેત્રમાં રૂ.૧૮૪૭.૧૭ (૩૨%) શિક્ષણ ક્ષેત્રમાં રૂ.૧૦.૧૩(૦.૧૭%) આવાસ ક્ષેત્રમાં રૂ.૩૦૦.૨૬ કરોડ(૫.૨૧%) તથા અન્ય અગ્રીમ ક્ષેત્રમાં રૂ.૧૨૩.૭૨ કરોડ (૨.૧૫%) ના ધિરાણના લક્ષ્યાંકો રાખવામાં આવેલ છે.
સદરહું બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહીર પટેલ, રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયાનાં અગ્રીમ બેંક ઓફીસર શ્રી સંસ્કાર વિજય, એસ.બી.આઇ. નાં આર.બી.ઑ.-૩ નાં રિજયોનલ મેનેજર શ્રી બળદેવ પટેલ, એસ.કે.રાઠોડ એ.જી.એમ. બી.ઓ.બી, એ.સી. મહેતા એ.જી.એમ. સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક, શ્રી નરેશ ઠાકુર એ.જી.એમ. સી.બી.આઇ, હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમ માં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંકોનું જિલ્લા કલેકટરશ્રી જામનગર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બેઠકનાં અંતે આર.સેટીના ડાયરેક્ટર શ્રી જોષીએ આભારદર્શન કરતાં જણાવેલ કે જામનગર જિલ્લાની બેંકો તથા સરકારી એજન્સીઓનાં સહિયારા પ્રયાસોથી આ તમામ લક્ષ્યાંકો જરૂર સિદ્ધ થઈ જશે.
Comments
Post a Comment