તા.૨૩ માર્ચના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષા સંદર્ભે કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ થાય તે પ્રકારે સુચારુ આયોજન હાથ ધરવા કલેકટરશ્રીનું અધિકારીશ્રીઓને સૂચન 

જામનગર તા.૧૯ માર્ચ, આગામી તા.૨૩ માર્ચના રોજ જામનગર જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાના સુચારુ આયોજન માટે જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં કલેકટરશ્રીએ કાયદો અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત થાય તથા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવામાં આવે તે પ્રકારે આયોજન હાથ ધરવા અધિકારીશ્રીઓને સૂચનો આપ્યા હતા. કલેકટરશ્રીએ સ્ટ્રોંગરૂમ અને પરીક્ષા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાઓ ઉભી કરવા, પરિવહન વ્યવસ્થા ખોરવાય નહી તેના ભાગરૂપે એસટી વિભાગના તમામ રૂટ કાર્યરત રાખવા, વીજપુરવઠો ન ખોરવાય તેની તકેદારી જાળવવા, જે સેન્ટર પર પરીક્ષાઓ યોજાવાની છે ત્યાં સી.સી.ટી.વી. કેમેરા સહિતની તમામ વ્યવસ્થાઓ જાળવવા લગત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. 

જામનગર જીલ્લામાં કુલ ૧૩ સ્થળો પર ૧૨૫ બ્લોકમાં પરીક્ષા યોજવામાં આવશે. કુલ ૨૪૬૨ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૪:૦૦ કલાક સુધીનો રહેશે. જેમાં સવારે ૧૦:૦૦ વાગ્યાથી ૧૨:૦૦ વાગ્યા સુધી ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, બપોરે ૧:૦૦ થી ૨:૦૦ દરમિયાન જીવ વિજ્ઞાન અને ૩:૦૦ થી ૪:૦૦ વાગ્યા સુધી ગણિતની પરીક્ષા લેવામાં આવશે. 

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ડી.એન.ઝાલા, જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી વિપુલ મહેતા, લગત અધિકારીશ્રીઓ વગેરે હાજર રહ્યા હતા.

*****



Comments

Popular posts from this blog

પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

શ્રી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ